Saturday, February 1, 2014

નિયતિનો માર્ગ અને માર્ગદર્શક

એક વખત ઋષિકેશની ગલીઓમાં ઉત્તરપ્રદેશનાં મેરઠનો એક આશાસ્પદ યુવાન સાધુઓની ટોળીમાં કંઈક દિશાહીન-હતાશ અવસ્થામાં ગીતો ગાતો ભટકતો રહેતો. તેનું લોકગાયન સાંભળીને કોઈપણ સંગીતનાં જાણકારને ખબર પડી જાય કે આ યુવાનનું ગોત્ર ગીત-સંગીતની પૃષ્ઠભૂમિ ધરાવતું હશે. ઋષિકેશનાં એક સાધુ પરિપૂર્ણાનંદજીની નજરે ઘણાં દિવસથી આ હતાશ યુવાન ચડી ગયેલો. આ યુવાનની ગાયકીનું કૌવત પારખી ગયેલાં સાધુ પરિપૂર્ણાનંદજી તેને પોતાની પાસે બોલાવીને તેની હતાશા અને આવી રીતે સાધુઓની ટોળીમાં દિશાહીન અવસ્થામાં ભટકવાનું કારણ જાણવાનો પ્રયાસ કરે છે.
     
પોતાને અત્યાર સુધીમાં મળેલી દરેક સાહસમાં નિષ્ફળતાને કારણે પોતે હતાશામાં ગરકાવ થઈને ઋષિકેશમાં જીવનનો કોઈક રસ્તો મળશે એવી આશામાં તે અહીંયાં ભટકી રહ્યો છે. જો અહીંથી કોઈ માર્ગ નહીં મળે તો પોતે ગંગા નદીમાં ડૂબકી લગાવીને આત્મહત્યા કરી લેશે, આ યુવાને આવી હતાશ અવસ્થાની પરાકાષ્ઠાથી જન્મેલાં પોતાના આત્યંતિક વલણને સાધુ પરિપૂર્ણાનંદજીની સમક્ષ રજૂ કર્યું. સાધુ આ યુવાનની હતાશા અને કૌવતને યોગ્ય રીતે પારખીને કહે છે તારો અસલ માર્ગ ઋષિકેશમાં ભટકવાનો નહીં પણ જ્યાં તારી પાસેના કલા-કૌશલ્યની યોગ્ય કદર થઈ શકે છે તે મુંબઈ જઈને સંઘર્ષ કરવામાં છે; મને તારા કૌવત-કસબ ઉપર પૂરો ભરોસો છે કે તું એક દિવસ તારી ગાયકીનાં જોરે તે શહેરમાંથી જ તારું નામ આ દુનિયામાં કાઢીશ.
     
બે વર્ષ પહેલાં જ એક ટીવી ઇન્વરવ્યૂમાં એક વખતનાં આ હતાશ યુવાન અને આજનાં એક બેહદ સફળ સૂફી ગાયક કૈલાશ ખેરનાં મુખેથી પરિપૂર્ણાનંદજીએ પોતાને બતાવેલા ખૂબજ સમયોચિત માર્ગદર્શન અને તેનાથી જ પોતે આ મુકામ ઉપર પહોંચ્યા છે તે વાત સાંભળીને આ સાધુ પરિપૂર્ણાનંદજીને દિલથી નમન કરવાનું મન થયું. મને નમન કરવાનું ખાસ મન તો એટલે થયું કે તેણે આ હતાશ યુવાનને પોતાની જાત ઉપર ભરોસો જગાડીને તેનો અસલ માર્ગ જે હકીકતે ઋષિકેશ નહીં પણ મુંબઈનો જ હતો તે બતાવ્યો અને તે સમયોચિત માર્ગદર્શનનાં લીધે આપણને એક સફળ સૂફી ગાયક મળ્યો.  બાકી તો દેશમાં કેટલાય એવા ડૉક્ટર, વકીલ, એન્જિનિયર કે કોઈ કલાકાર બીજા સાધુઓનાં અવળાં માર્ગદર્શનનાં લીધે આવી જમાતોમાં તેઓની ખરેખર જ્યાં નિયતિ જ નથી ત્યાં જીવન બરબાદ કરી જ રહ્યા છે ને!! 

3 comments:

  1. કૈલાસ ખેર ... ખેર મનાવે કે એમને સાચા સંત શ્રી પરિપૂર્ણાનન્દજી પ્રાપ્ત થયા ... કોઇ અપૂર્ણાનન્દ કે આયારામ / ગયારામ ભટકાયા હોત તો ..?

    ReplyDelete
    Replies
    1. Really good motivated story .......feel glad to know about kailash kher.....:)

      Delete
  2. આજે સમાજને આવા સત્વ પારખું સાધુઓની તાતી જરૂરિયાત છે...

    ReplyDelete