Wednesday, February 26, 2014

જળ, જમીન ને જાજરૂ...સમજીને વાપરો તો પાધરું

વતનમાં રહેતાં એક અમારા પડોશી મગનદાદા બે દિવસ પહેલાં ગામડેથી સુરત આવેલા અને યાદ કરતાં જ તેમનો ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? મારે તારું ખાસ કામ પડ્યું છે. હું ઘરે જ હતો એટલે મેં એમને તરત મારાં ઘરે જ બોલાવી લીધા. આવીને પહેલા તો મને કહે કે હાલ ભાઈ તાપી કાંઠે; મારે મારું બે દિવસનું અટકેલું કામ પતાવવાનું છે પછી બીજી બધી વાત. મને તો ઘણું નવીન લાગ્યું કે આ દાદાને વળી શું કામ હશે? તાપીનો ઊંચો પાળો દેખાતા દાદા કહે તું ઉભો રહે અને હું આવું છું, એટલે તરત હું સમજી ગયો કે આ મગનદાદા તાપીને મલીન કરવા માટે અત્યારે અહિયાં આવ્યા છે! "ભાઈ હવે કંઇક નિરાંત થઇ; હું તો મુંજાઈ ગયેલો એમાં તું યાદ આવ્યો ને મને એમ થયું કે તારું ઘર નદીની બાજુમાં જ છે એટલે જ તો તને ફોન કર્યો." દાદાએ પોતાની બે દિવસની ભેગી થયેલી તમામ 'મુંજવણ' ને તાપી મૈયામાં પધરાવીને હળવાફૂલ થઈ જતાં પોતાની બધી જ હળવાશનો શ્રેય મને આપતા આવું કહ્યું.

હવે વાત કંઇક આવી હતી. દાદા આવેલા તો બે દિવસથી અને ત્યારથી પોતે શૌચક્રિયાને ખુલાસાવાર અંજામ આપી શકેલા નહીં. દાદાના દીકરાઓને ઘરમાં પણ ઇન્ડિયન તેમજ વેસ્ટર્ન ટોઇલેટની સરસ સુવિધા તો છે જ; પણ દાદાને આદત હતી વર્ષોથી ‘ખુલ્લા-ગગન’ની! હવે દાદા જયારે પણ બહારગામ જાય ત્યારે તેમનાં કહેવા પ્રમાણે જાજરૂની અંદર પોતે મુક્ત રીતે પોતાની ‘મુંજવણ’ને ઠાલવી શકતા નથી! તેમના દીકરાઓએ તેમને ગામડે પણ જાજરૂની સુવિધા બનાવી આપેલી જ છે પણ આ ‘ગગનગામી’ ને ‘જાજરુવાસી’ થવા મજબૂર કરવા એટલે સમજોને ગીરના સાવજને પાંજરે પૂરવો!

હમણાં હમણાં થયેલા એક સર્વે પ્રમાણે ભારતમાં આશરે પાસંઠ ટકા લોકોની પાસે તો હજી પર્યાપ્ત શૌચાલયની સુવિધા જ નથી! એટલે એમ સમજોને એકસોને વીસ કરોડ લોકોમાંથી આશરે અઠયોતેર કરોડ લોકો રોજે પોતાના જ રહેઠાણોની આસપાસ મળ નિષ્કાસન પ્રવૃત્તિ કરે છે. ગામડાઓમાં ખુલ્લા વાડાઓ તેમજ પહોળા રસ્તાઓ ઉકરડાઓ થી ભરેલા રોગોના ઉત્પતિસ્થાનો જ છે તેમજ નજીકના ખેતરો અને વોંકળાઓ એટલે કે આ અઠયોતેર કરોડ લોકોના ‘ખુલ્લે ગગન જાજરૂ’. આવી હાલતમાં અંદાજ આવી શકે કે ગામડાની આસપાસ ઠલવાયેલા સેંકડો ટન માનવ મળ ઉપર પસાર થયેલી સુગંધિત હવા જેને સંસ્કૃતમાં “સુરભી” કહેવાય તેનાથી સદાયે આ ગોકુળીયા ગામો મદહોશ રહેતા હોય છે. આપણા લોકકવિઓ અને લેખકો ગામડાઓની આવાસ્તવિકતાનું તો વર્ણન ક્યારેય કરતાં જ નથી અને કરે છે તો કેવું કે જો કોઈ ‘ભગવાન’ ખરેખર હોય અને વારંવાર અહિયાં જન્મ લેતો હોય તો તેને પોતાનો આગલો જન્મ આવા જ ‘સુગંધિત’ ગામડાઓમાં લેવાની ભૂલ કરાવે એવું! ભારતમાં પાસંઠ ટકા લોકો પાસે પર્યાપ્ત શૌચાલયની સુવિધા ન હોવી તેના કારણમાં ગરીબી એક કારણ તો હશે જ; પણ અમારા આ મગનદાદા જેવાઓની 'ગગનગામી’ ટેવો પણ જવાબદાર તો છે જ.
      
જેવું ચોમાસું પૂરું થાય કે તાલુકા મથકોમાં આવેલાં ક્લિનીકો ચિકનગુનિયા, ડેન્ગ્યું, મલેરિયા, કમળો, ઝાડા-ઉલટી અને બીજા અનેક પ્રકારના રોગોના ભોગ બનેલા ગ્રામીણ દર્દીઓથી ઉભરાતાં હોય છે અને તેનાં કારણમાં છે માત્ર આપણી અમુક સ્વચ્છતા અંગેની બેદરકારી અને આ મગનદાદા જેવી લોકોની 'ગગનગામી' કૂટેવો. ભારતમાં પોલિયો જેવી બીમારીઓનું નિયંત્રણ લાવતા આટલો લાંબો સમય થયો તેનાં માટે પણ ગમે ત્યાં ખુલ્લામાં મળ-મૂત્ર ત્યાગવાની સામુહિક કૂટેવો જ જવાબદાર છે. પોલિયોની બીમારીનાં ફેલાવા માટે જવાબદાર વિષાણું પોલીયોગ્રસ્ત બાળકના મળ દ્વારા જ ખૂબ ફેલાતો હોય છે. આપણા ગામડાઓમાં પશુઓને માનવ વસ્તીની સાથે માનવ રહેઠાણોની અંદર જ રાખવામાં આવે છે. તેના છાણનો સંગ્રહ રહેઠાણોની બહાર ખુલ્લી શેરીઓમાં તેમજ વાડાઓમાં ઉકરડાઓનાં રૂપે કરવામાં આવે છે અને આ પધ્ધતિ પણ માનવ-આરોગ્ય માટે ખુલ્લામાં શૌચક્રિયા જેટલી જ ઘાતક છે. દેશમાં હજી પણ ગામડાઓના પીવાનાં પાણીનો મુખ્ય સ્ત્રોતની  બોરવેલ છે ત્યારે ચોમાસામાં વરસેલું પાણી ગ્રામજનોના 'ખુલ્લે ગગન જાજરૂ' જેવાં ખેતરોમાં ઠલવાયેલા માનવ-મળનાં સડેલા અવશેષો ઉપરથી ગળાઈ ને જમીનના પેટાળમાં ઉતરે છે અને આ નિતરેલું તમામ દુષિત પાણી બોરવેલ દ્વારા ખેંચીને ગામલોકોને જ પીવાનું હોય છે. ખુલ્લા ઉકરડા તેમજ માનવ વિષ્ઠાના ઢગ ઉપરથી લોકોનાં રસોડે કોઈ પણ રોકટોક વગર જતી આવતી માખીઓના જુંડોને નથી તો રોકવાની કોઈ પર્યાપ્ત વ્યવથા કે નથી તો કોઈને તેનાં તરફ સહેજે ધ્રુણા કે સાવધાની!
  
ભારત અને ખાસ કરીને તેનાં ગામડાઓ વિષે એવું કહી શકાય કે જો અમુક રૂઢીઓ અને માન્યતાઓને આપણે છોડીએ કે બદલીએ તો ખરેખર ‘સ્વર્ગ’ ને ભુલાવે એવા ગામો બનાવતાં આપણને કોઈ ન રોકી શકે અને જો લોકોનો સામુહિક અભિગમ થોડોક ‘સફાઈલક્ષી’ થાય તો જે લોકોનું ભંડોળ બિનજરૂરી ધાર્મિક સ્થાપત્યો ખડકવામાં કે બીજા આડંબરો માટે વપરાય છે તેનાં માત્ર દસમાં ભાગનાં ભંડોળથી જીવતી જાગતી અમુલ્ય જીંદગીઓને રોગ મુક્ત વાતાવરણ અને નીરોગી જીવન અવશ્ય આપી શકાય. ખરેખર પ્રાથમિકતા શું હોવી જોઈએ અને અત્યારે શું છે તે વિચારવાની જરૂર છે.
  
દુનિયામાં અન્ય દેશોની સરખામણીએ આપણા શહેરો ઉકરડાથી સહેજ પણ કમ નથી. ગત વર્ષે ટ્રેનમાં મુસાફરી દરમિયાન જયપુરના જ એક સ્થાનિક વડીલ સહપ્રવાસી મળ્યા જે સંયોગે પહેલી જ વખત સુરત આવતાં હતાં. મારી ઉપરની બર્થ ઉપર સુતી વખતે સાંજે મને એક વિનંતી કરી કે સવારે કદાચ મારાથી ઊંઘમાંથી ન ઊઠી શકાય તો આપ મને જગાડી દેશો? મેં તે વડીલને આશ્વાસન આપ્યું કે ચિંતા ન કરો હું જગાડી જ દઈશ; પણ મારા અનુભવે તો તમે એમને એમ જ જાગી જશો. અને સવારે ખરેખર જ્યાં તાપી નદી ઉપરનાં બ્રીજને ક્રોસ કરતાં જ હંમેશા જ્યાં દુનિયાભરનાં યાત્રીઓને સુરતના ‘ગગનગામીઓ’ની ‘સુરભી’નો ફરજીયાત લાભ અપાવવાં ત્યાંથી પસાર થતી દરેક  ટ્રેન ધીમી પડે છે ત્યાં અમારી ટ્રેન ધીમી પડી કે તરત જ મારા સહયાત્રી અકળાઈને જાગી ગયા! .સુરતીઓની ‘સુરભી’નાં ઓવરડોઝથી અકળાઈને બોલ્યા કે ભાઈ તમે કહેતા એ સાચું હો; હું ખરેખર એમને એમ જ જાગી ગયો! હું માનું છું ત્યાં સુધીમાં નિયમિત રેલયાત્રાનો લાભ લેતા લગભગ દરેક મિત્રોએ સુરતમાં થતો  આ તીવ્ર ‘ગંધાનુભવ’ અવશ્ય કરેલો જ હશે.

જાણીતા સામાજિક કાર્યકર વિમલાતાઈ ઠકારને એક યુરોપ-યાત્રાનો પોતાનો અનુભવ કહેતાં સાંભળેલા: “તમે જ્યારે યુરોપના ગામડાઓના પ્રવાસે હો તો તમને આપોઆપ ખબર પડી જ જાય કે હવે ગામ થોડુંક નજીકમાં જ હશે, કારણ કે ત્યાં જ્યારે કોઈ ગામ આવવાનું નજીકમાં જ હોય ત્યારે રસ્તાની બંને બાજુએ સુશોભિત ફૂલોની ક્યારીઓ દેખાવા લાગે! આ જોઈને હવે વિચારો કે ભારતનાં ગામડાઓનાં રસ્તે જયારે કોઈ ગામ આવવાનું નજીકમાં હોય તો તમને શું દેખાય કે શેની સુગંધ આવે?”

2 comments:

  1. ગાયકવાડી ગામોની આ એક નિશાની હતી કે ગામમાં પેસવાના રસ્તા પર બાગ હોય હોય ને હોય જ. જેમકે, નવસારી, વ્યારા, નવાપુર, વડોદરા. આજે તો નગર બની ને વિસ્તરી ગયા. વળી લાઈબ્રેરી પણ હોય જ....

    ReplyDelete
    Replies
    1. ગાયકવાડી રાજના બધાં ગામો શિક્ષણ અને બીજી ઘણી બાબતોમાં અન્ય રજવાડાઓ કરતાં કંઇક વિશેષ આગળ હતાં,

      Delete