Friday, March 21, 2014

મંદિરે કમાણી

ખીમજીભાઈ કચ્છી મારાં એક વાસ્તવદર્શી કવિ મિત્ર છે. સ્વામી સચ્ચિદાનંદ, મોરારીબાપુ જેવાં આસ્તિકો અને રમણ પાઠક જેવાં નાસ્તિક વિદ્વાનો જોડે તેમને એક સરખો જ નેહ છે. તેમની કવિતાઓમાં છંદ, લય કે પ્રાસને મહત્વ આપવા કરતાં લોકોને જે સંદેશ તે આપવા માગે છે તેનાં ઉપર જ તેમનું જોર હોય છે અને આવા અભિગમનાં લીધે જ તેમની કવિતાઓમાં આભાસી આડંબરી લાવણ્યતાની જગ્યાએ લોકો ચચરાવતી તીક્ષ્ણ બરડતા અનુભવે છે. કદાચ એટલે જ તેમનાં મિત્રો તેમને 'ઉઝરડા' જેવાં ઉપનામથી ઓળખતા હશે. મારા અનુભવે શરૂઆતમાં તીવ્ર બળતરા કરાવતો આ 'ઉઝરડો' આપણને જીવનનાં ઘણાંબધાં કટુસત્યોનું ભાન કરાવી દે છે. 'ઉઝરડા'નાં આ ચટપટા અનુભવને વહેંચવા માટે તેમની કવિતાઓ નિયમિત રીતે મુકવાનો અહીંયાં મેં નિર્ણય કર્યો છે...

મંદિરે કમાણી

ભગવાન તારા મંદિરીયે પ્રજા લૂંટાણી,
પૂજારીઓએ એની કેવી કરી છે કમાણી?
           'સત્ય એ જ પરમેશ્વર' વદે એવી વાણી,
         અસત્ય આચરી એ કરે મબલખ કમાણી!
રજવાડી ઠાઠથી આચાર્યો જીવતાં,
ભિખારીની વેદના ક્યાંય ના દેખાણી?
          લાલચે ને લોભે પત્થરની મૂર્તિ પધરાવતાં,
          જીવતાંની તે દરકાર કેમ ન જાણી?
સોના-ચાંદીનાં તને દાગીના ચડાવી,
પૈસા પ્રજાનાં ને પૂજારીને લહાણી.
          છપ્પનભોગ ધરી કરી કેવી કમાણી,
          દીન-દુખીયારા પર દયા જરા ન દેખાણી?
મદદ માટે લોકોએ મંદિરે મીટ માંડી,
પૂજારીનાં હાથે લાજ એની લૂંટાણી.
           હાર કોની ને જીત કોની? વાત ન સમજાણી,
           દેવતાની મૂર્તિ આજે મંદિરમાં શરમાણી...
                      
                                        -ખીમજીભાઈ કચ્છી 'ઉઝરડો'

No comments:

Post a Comment