Sunday, January 4, 2015

ક્રિયેટિવ પેનિક...

છેલ્લાં ઘણાં દિવસોથી આપણાં હિરા બજારમાં 'સિન્થેટીક ડાયમંડ્સ' થી એક ઝબરું 'પેનિક' ઊભું થયું છે. નાનાં-મોટા દરેક ખરીદદારો(Buyers)એ પોતાની ઓફીસનાં દરવાજાઓ ઉપર તૈયાર હીરાઓ વેચવાં માટે આવતાં દલાલો-વેપારીઓને સ્પષ્ટ દેખાય તેવી સૂચનાઓ લગાડી છે કે અમને કોઈપણ વેપારી-દલાલનાં વેચેલાં કુદરતી હિરાઓનાં પેકેટ્સમાંથી આગળ ક્યાંય પણ જો સિન્થેટીક હીરાઓની ભેળસેળ ઝડપાશે તો જે તે ભેળસેળીયા માલનાં પેકેટ્સને રોકડા પેમેન્ટથી પરત લઇ લેવાની શરતે જ અમને વેચવાં. 

દુનિયામાં સૌથી વધારે કિંમતી પદાર્થોનાં કારોબારમાં જેની ગણના થાય છે તેવાં આ હિરા કારોબારની આવી પરિસ્થિતિ માટે જવાબદાર ખરું પરિબળ કયું?  સુરત ડાયમંડ એસોસિયેશનનાં પ્રમુખ દિનેશભાઈ નાવડીયા અને જીજેઇપીસીનાં ચેરમેન વિપુલ શાહે આપેલાં તારીખ ૩ જાન્યુઆરી ૨૦૧૫ નાં  અખબારી નિવેદન પ્રમાણે મોટા ખેરખાંઓની સિન્થેટીક ડાયમંડ્સની ભેળસેળીયા કારોબારની 'કોરી' અફવાઓ કે પછી હિરા બજારમાં કોઇપણ નાનાંમાં નાનાં ઉત્પાદકે પોતાની ઓફીસ ઉપર કોઈ દલાલે વેચવાં માટે (સિન્થેટીક ડાયમંડ્સ છે તેવી સ્પષ્ટતા સાથે જ) લાવેલા આવાં હીરાઓને પોતાની સગી આંખે જોયેલાં(અખતરાં માટે હીરાને તૈયાર કરવાની બધી જ પ્રક્રિયામાં પસાર કરાતાં) આવાં ચમકતા ઉજળાં સ્ફટિક જેવાં મોનોક્રિસ્ટલાઈન સિન્થેટીક ડાયમંડ્સનાં પેકેટ્સ?

દુનિયામાં ઘણી બધી કંપનીઓને આ સિન્થેટીક ડાયમંડ્સનાં ઉત્પાદનનાં શોધકાર્યમાં સફળતા મળી અને તેઓ આજે પણ બિલકુલ પારદર્શિતા સાથે પોતાનાં હીરાઓ અને તેમાંથી બનેલી જ્વેલરીને લેબગ્રોન ડાયમંડ્સનાં નામે જ વેચીને કારોબાર કરે છે. જીજેઈપીસીનાં ચેરમેને ગઈકાલે કહ્યું તેમ આ લેબગ્રોન ડાયમંડ્સનો પુરવઠો નેચરલ ડાયમંડ્સનાં માર્કેટની તુલનાએ ખૂબ જ અલ્પ છે અને તે આધિકારિક આંકડાઓ પ્રમાણે બિલકુલ સત્ય પણ છે જ. પરંતુ ભવિષ્યમાં આવાં અકુદરતી હીરાઓનું ઉત્પાદન અવશ્ય વધવાનું  છે અને આ વધેલા ઉત્પાદનથી ભેળસેળનાં કિસ્સાઓ વધવાનાં એક આગોતરાં ભયથી જ હિરા બજારમાં વધું પેનિક ઊભું થયું હોય તેવું અત્યારે તો જણાય છે.

દુનિયામાં વિકસતાં કોઈપણ કારોબાર એ પછી ખેતી હોય કે હિરા કે પછી સાયબર ટેકનોલોજીનો સાગર કેમ ન હોય ત્યાં ચોર-ઉચક્કાઓ, બદલુંઓ કે હેકર્સનાં એક વિશિષ્ટ કસબી વર્ગનું સહઅસ્તિત્વ તો રહેવાનું જ. પારદર્શિતા અને એડવાન્સ ટેકનોલોજીનાં 'ક્રિયેટિવ' ઉપયોગથી  આવી ઘાલસાજી પ્રવૃતિને કાબુમાં અવશ્ય રાખી શકાય છે. સિન્થેટીક ડાયમંડ્સનું એક ખૂબ જ હકારાત્મક પાસુ એ છે કે આ હીરાઓ ભલે ધરતીનાં પેટાળમાં લાખો-કરોડો વર્ષની ભૂસ્તરીય પ્રક્રિયાથી નથી બન્યાં પણ છે તો તે અદ્દલ કુદરતી હીરાઓ જેવાં જ અને અમુક વાતે તો તેનાંથી પણ ચડિયાતાં છે. આ તથ્ય ભવિષ્યમાં કુદરતી-અકુદરતી હિરા ઉદ્યોગ માટે લાભકારી બનશે કે અભિશાપરૂપ તેનો બધો જ આધાર ભવિષ્યમાં આવાં હિરાઓનું ઉત્પાદન કેટલાં મોટા પ્રમાણમાં-કેટલું સસ્તું થાય છે અને પ્રમાણમાં આવાં હીરાઓનો ઉપભોક્તા વર્ગ કેટલો વિસ્તરીત થાય તેનાં ઉપર જ નિર્ભર છે. 

ચોર-બદલુંમારો BPL થી લઈને Billionaire પણ હોઈ શકે; તેનાંથી સહેજ પણ ડર્યા વગર એડવાન્સ ટેકનોલોજીનાં ભરોસે હિરા બજાર જો હકારાત્મકતાથી વિચારે તો એવી સંભાવનાઓ વધું દેખાય છે કે વર્તમાન સમયે અનુભવાતું આ પેનિક ક્રિયેટિવ બનીને આ ક્ષેત્રમાં કંઈક નવી જ ક્ષિતિજો ખોલી આપે..