Saturday, February 8, 2014

શ્વેતક્રાંતિએ ખીલાવેલું એક ફૂલ 'માલતી'

લગભગ ઓગણીસો અઠ્યાસીનાં વર્ષની વાત છે; તે વખતે સંદેશ અખબારમાં 'લોકસાગરનાં તીરે તીરે' નામથી દંતાલી વાળા સ્વામી સચ્ચિદાનંદજીની સરસ મજાની એક પ્રેરણાત્મક કટાર આવતી. આ સમયે ગુજરાતમાં ઉપરાઉપરી ત્રણ ભીષણ દુષ્કાળ પડેલાં અને ત્યારે જ સ્વામી સચ્ચિદાનંદજીની આ કટારમાં ઉત્તર ગુજરાતનાં વિજાપુર તાલુકાનાં પ્રતાપપુરા ગામે રહેતાં માલતીબહેન ચૌધરી જેવાં નાનાં ખેડૂતે પશુપાલન-દૂધ ઉત્પાદન ક્ષેત્રે કરેલાં ચમત્કારની વાત વાંચી. માલતીબહેને કરેલા આ અદ્ભુત ચમત્કારની વાત વાંચીને મને પણ તેમને રૂબરૂ મળવાની ઇચ્છા થઈ એટલે આપણા પાટનગર ગાંધીનગરથી અરધા કલાકનાં જ અંતરે આવેલાં જર્સી ગાયોનાં ભાંભરડાઓથી ગૂંજતા લીલીછમ હરિયાળી વાળા ગામે હું ગયો.

પ્રતાપપુરા એટલે વિજાપુર તાલુકાનું ગાંધીનગરથી લગભગ સોળ કિલોમીટર દૂર આવેલું આશરે પંદરસોની વસ્તી વાળું ચૌધરીઓનું ગામ. ગામનાં બહુમતી લોકોનો જીવન નિર્વાહ ખેતી અને પશુપાલન ઉપર જ નિર્ભર પરંતુ પૂરાં પ્રતાપપુરા ગામમાં કોઈ એક પણ ખેડૂત મોટો ખેડૂત નહીં. ગામ આખું નાનાં અને સીમાંત ખેડૂતોનું જ એટલે સ્વાભાવિક રીતે ખૂબ જ મર્યાદિત આવક ધરાવતાં લોકોનું આ ગામ. ઉત્તર ગુજરાતમાં વસતા ચૌધરી લોકો પરંપરાગત રીતે પશુપાલન વ્યવસાયમાં પારંગત. આ ગામનાં આવા જ એક પરિવારમાં જોઇતારામ સેંધાભાઈ ચૌધરી નામનાં અપંગ યુવાનને પરણીને એક શિક્ષિત યુવતી આવે છે. પતિ અપંગ, આવક માટે પરિવાર પાસે માત્ર અઢી એકરનું એક માત્ર ખેતર!

આ સમયે દેશમાં દૂધની નદીઓ વહેવડાવવા માટે ડૉ. વર્ગિસ કુરિયન શ્વેતક્રાંતિના મંડાણ નાખી રહ્યા હતાં. ત્યારે દેશમાં દૂધ ઉત્પાદકોનું કે તેનાં દૂધ ઉત્પાદનોનાં વિતરણ માટે કોઈ પણ સંગઠિત માળખું અસ્તિત્વમાં નહોતું. પરિણામે તે સમયે આપણો દેશ દૂધ ઉત્પાદન ક્ષેત્રે અતિશય પછાત હોવા છતાં પણ દૂધ ઉત્પાદક ખેડૂતો તેને મળતાં અપૂરતાં ભાવોથી પરેશાન હતાં તો સામે વચેટીયાઓની બેફામ નફાખોરીનાં કારણે શહેરોમાં રહેતાં લોકોને દૂધ ખરીદવા માટે લૂંટાવું જ પડતું. પશુસુધારણાં બાબતે ખેડૂતોની ઘોર ઉદાસીનતાનાં કારણે આપણી ગાયો વાર્ષિક બારસો લિટર જેટલું ઉત્પાદન આપતી જે દુનિયાનાં અમુક દેશોની ગાયોની સરખામણીએ તો લગભગ ત્રીજા ભાગનું કહેવાય!

ઘનિષ્ઠ પશુસુધારણા, દૂધ ઉત્પાદકોને સહકારી ક્ષેત્રે સંગઠિત કરીને તેનાં ઉત્પાદનોને યથાયોગ્ય જાળવણી પ્રક્રિયાઓથી સંરક્ષિત કરીને સમયસર દેશમાં આવેલા દૂર સુદૂરનાં શહેરોમાં પહોંચાડવાનો એક બહુ આયામી કાર્યક્રમ 'ઓપરેશન ફ્લડ' ડૉ. કુરિયન દ્વારા ચાલું થયેલો. આ કાર્યક્રમમાં પ્રતાપપુરાનાં માલતીબહેન ચૌધરીને પોતાનાં પરિવારને સમૃદ્ધ બનાવતું સ્વપ્ન દેખાયું. મહેસાણામાં આવેલી દૂધ સાગર ડેરીની જ્ઞાન-આર્થિક સહાય વડે માત્ર પાંચ જ સંકર (ક્રોસ બ્રીડ) ગાયોથી સંપૂર્ણ આધુનિક ઢબે પોતાના નાનકડાં ખેતરમાં પશુપાલન ચાલુ કર્યું.પોતાની ધગશ તેમજ ડૉ. કુરિયન દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન ફ્લડ' કાર્યક્રમની મળેલી સાંયોગિક સહાયનાં કારણે આજે આ માલતીબહેન ચૌધરીની પોતાની અંદાજે એકાદ કરોડ રૂપિયાની આવક સાથે દેશનાં શ્રેષ્ઠ દૂધ ઉત્પાદકોમાં ગણનાં થાય છે, મારા જેવા દેશનાં અનેક નાનાં ખેડૂતોથી લઈને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેંટ જેવી દેશની શ્રેષ્ઠ મેનેજમેંટ સ્કૂલને પણ શ્વેતક્રાંતિએ ખીલાવેલાં એક ફૂલે ફેલાવેલી સફળતાની ફોરમ આકર્ષી રહી છે. 

7 comments:

  1. Aavi j Source to Consumer ni paddhati.. shaak bhaaji ane ane anya khet pedasho ma pan develop kari shakaay.. pan ena mate fari thi koi Verghese Kurien ni raah jovi padse.. koi sarkaar pase aavi asha raakhvi vyarth chhe ! Jo aavu thaay to pachhi Bharat jevo koi samruddh desh nahi hoy !!!

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. સૌ પ્રથમ ગુજરાતને જ સમૃદ્ધ કરનાર શ્વેતક્રાંતિનાં જનક ડૉ. કુરિયનની ગુજરાતના જ રાજકારણીઓએ કેવી હાલત કરી તે જોઈને ખૂબ દુઃખ થાય છે.

    ReplyDelete
  4. थेंक्स हिम्मत भाई.....खूब ज सरस लेख....

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. હજુ પણ એવા ઘણા ક્ષેત્રો છે જેમાં સહકારી ક્ષેત્રે સંગઠીત થવાની જરુર છે... જો આવુ થાય તો જ સાચો વિકાસ શક્ય બને તેમ છે. અને આ માટે થોડા શહેરીકરણ કે ઔધ્યોગિકરણ થી પછા આવવાની જરુર છે. મુળ પ્રગતિ જ ગામડા માં છે.

    ReplyDelete