Wednesday, February 5, 2014

હેલિયોથીસ અને શાહુકારો... ખેડૂતોને ચૂસતી રાક્ષસી જીવાંત

તેર-ચૌદ વર્ષ પહેલાંની આ વાત છે; મારા એક મિત્ર અને ખેતીવાડીમાં વપરાતાં જંતુનાશકોના એક વેપારીની સાથે સૌરાષ્ટ્રનાં નાના એવા એક ગામે જવાનું થયેલું. અમારું કામ પતાવીને જેવા અમે ગામની બહાર નીકળ્યા તો એક ખેડૂતે અમારી ગાડી રોકાવીને મારાં વેપારી મિત્ર પાસે નવી જ બજારમાં આવેલી 'અવાંટ' નામની જંતુનાશકનાં એક માત્ર પેકિંગ માટે કરગરવાં લાગ્યો! પોતાની પાસે આ ખેડૂતે માગેલી જંતુનાશકનો જથ્થો ખૂટી જ ગયેલો એટલે મારા મિત્રને પેલા એક પેકિંગ માટે કરગરતાં ખેડૂતને સ્પષ્ટ ના કહેવી પડી એટલે આવો જવાબ સાંભળીને તે ખેડૂત અમારી ગાડીની આગળ રીતસર મરણિયાં બનીને લંબાવી દીધું! જેને આપણે જગતનો તાત કહીએ તેની આવી લાચાર પરિસ્થિતિ જોઈને એવો વિચાર કરવા મજબૂર કર્યો કે આપણાં ખેડૂતોની આવી પાંગળી સ્થિતિ માટે જવાબદાર કોણ?

તે સમયે હજી દેશમાં બીટી બિયારણોનું આગમન નહોતું થયેલું, લોકો કપાસનાં પરંપરાગત હાઇબ્રીડ બીજનું વાવેતર કરતાં અને પાકનાં એકધારા વાવેતર અને જંતુનાશકોનાં સમજણ વગરનાં બેફામ ઉપયોગનાં લીધે કપાસનાં પાકમાં વધારે ઉપદ્રવ કરતી લીલી ઇયળે પરંપરાગત જંતુનાશકો સામે પોતાની પ્રતિકારક શક્તિ મેળવી લીધેલી. પરિણામે લીલી ઇયળ 'હેલિયોથીસે' આખા ને આખા કપાસનાં ખેતરો જીંડવા રહિત કરી નાખ્યાં. પહેલી નજરે કુદરતી લાગતી પરંતુ હકીકતે માનવ સર્જિત વિપત્તિના લીધે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તો અનેક ખેડૂતોએ આ ઉપદ્રવી ઇયળોનાં ખાતમાં માટે લાવેલાં જંતુનાશકો ગટગટાવી જઈને પોતાના જીવન ટૂંકાવી દીધાં! મોંઘા ખાતર-બિયારણ-જંતુનાશકો પાછળ શાહુકારો પાસેથી ઊંચા વ્યાજે લાવેલાં નાણાં રોક્યા પછી પોતાના પાકને જીવાત નજર સામે જ ફોલી ખાધા હોય ત્યારે તે ખેડૂતો પાસે બીજો કોઈ રસ્તો પણ ક્યાં બચવાનો હતો? કૃષિક્ષેત્રે આવાં નિરાશાજનક માહોલમાં ડૂપોંટ કંપની ભારતની પેસ્ટિસાઈડ માર્કેટમાં બિલકુલ નવાં જ પ્રકારનું જંતુનાશક લઈને આવી અને લીલી ઇયળોનાં ભયંકર ઉપદ્રવનાં પ્રમાણમાં નવાં આવેલા આ જંતુનાશકનો પુરવઠો ખૂબ જ ઓછો હોવાથી કઠણાઈનો ભોગ બનેલાં ખેડૂતોએ તેને ખરીદવા માટે કતારો લગાવી દીધી!  એટલે જ તો પોતાના પાકને બચાવવાની લાહ્યમાં પેલા ખેડૂતે અમારી ગાડી સામે ત્રાગું કરેલું!

દેશ આઝાદ થયો ત્યારે તેની પાંત્રીસ કરોડ જેટલી જનસંખ્યા હતી તો પણ અમુક પ્રાંતોમાં ભૂખમરાની પરિસ્થિતિ હતી! આવી પરિસ્થિતિ માટે ફક્ત દેશનાં કૃષિક્ષેત્રની કંગાળ હાલત જ જવાબદાર હતી. હરિતક્રાંતિના પરિણામે દેશનાં કૃષિઉત્પાદનમાં જબરજસ્ત વધારો થયો અને એટલે જ આઝાદી પછી આપણી જનસંખ્યાનમાં બેફામ વધારો થવા છતાં પણ કોઈ ભૂખે ન મર્યા. આ હરિતક્રાંતિના કારણે જ કૃષિક્ષેત્રે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વપરાશ પણ અનેકગણો વધી ગયો. ખેતીનાં વ્યવસાયમાં પાકને નુકસાન કરતાં કીટકોથી બચાવવા માટે વિવિધ પ્રકારના પેસ્ટિસાઈડ્સ ઉપયોગમાં લેવાય છે અને તેનાં દરેક પ્રકારને ઉપયોગમાં લેવાતી અલગ અલગ એક નિશ્ચિત વૈજ્ઞાનિક પદ્ધતિ હોય છે. જે તે પાક અને પેસ્ટિસાઈડ્સનાં પ્રકાર પ્રમાણે તેનું પ્રમાણમાપ, પ્રયોગમાં લેવાનો સમય અને મહત્તમ પ્રયોગની મર્યાદા જેવાં ઘણાંબધાં 'ક્રિટિકલ' મુદ્દાઓ ઉપર ખેડૂતની જાણકારી તેમજ પકડ હોવી ખૂબ જરૂરી હોય છે. ઘણાંબધાં વિકસિત દેશોમાં ત્યાંના શિક્ષિત ખેડૂતોએ ખેતીની આધુનિક તક્નીકને યોગ્ય રીતે વાપરીને પોતાની અને પોતાના દેશની સમૃદ્ધિ કાયમ રાખી છે. આપણાં દેશમાં અશિક્ષિત ખેડૂતો યોગ્ય જાણકારીનાં અભાવે આવા પેસ્ટિસાઈડ્સ વાપરવાનું વિવેકભાન ભૂલ્યા એટલે પાકને ફોલી ખાતાં કીટકો તેની સામે ઉત્તરોત્તર પ્રતિકારકતા કેળવતાં ગયા અને પરિણામે ઉત્પાદન વધવાની સાથે સાથે તેનાં પાકસંરક્ષણનાં ખર્ચમાં બેફામ વધારો થતો ગયો. જ્યાં સુધી ભારતમાં બીટી બિયારણો ન આવ્યા ત્યાં સુધીમાં તો દેશમાં અસંખ્ય કમનસીબ ખેડૂતોએ આત્મહત્યાઓ કરવી પડી. વધી રહેલી જનસંખ્યા અને સામે ઘટી રહેલા રિસોર્સનાં હિસાબે આપણા ખેડૂતોએ દુનિયામાં થઈ રહેલા નવા કૃષિ આવિષ્કારોનો વિવેકપૂર્ણ ઉપયોગમાં મહારત કેળવવી જ પડશે. દેશમાં ખેડૂતોએ કરેલી આત્મહત્યા પાછળ બળવત્તર બનેલા કીટકો અને બે-લગામ બનેલા શાહુકારો જ જવાબદાર છે. તેનાં નિયંત્રણ માટે જરૂર છે કે દેશનો નાનાંમાં નોનો ખેડૂત તેના ઉપાયોનાં યોગ્ય જ્ઞાનથી સજ્જ બને.
       
અત્યારે જો કે ખેડૂતોનાં પાકને ચૂસતી લીલી ઇયળ 'હેલિયોથીસ'નાં નિયંત્રણનો ઉપાય વિજ્ઞાને 'ટર્મિનેશન ટેક્નોલૉજી' દ્વારા મેળવી લીધો છે;  હવે બે-લગામ બનેલા આ દેશનાં શાહુકારોને 'ટર્મિનેટ' કેમ કરવા તેનો ઉપાય જો મળી જાય તો મને લાગે છે કે મારા દેશનાં ખેડૂતોની આત્મહત્યાઓ બંધ થાય...  

3 comments:

  1. ખુબ જ સરસ લેખ......મારા જેવા આ દેશ નાં દરેક ખેડૂત નાં દીકરા એ વાંચવા જેવો લેખ.....

    ReplyDelete
  2. બે-લગામ બનેલા આ દેશનાં શાહુકારોને 'ટર્મિનેટ' કેમ કરવા તેનો ઉપાય જો મળી જાય તો મને લાગે છે કે મારા દેશનાં ખેડૂતોની આત્મહત્યાઓ બંધ થાય...
    Bilkool Saanchu.

    ReplyDelete