Monday, February 24, 2014

પટેલનું ઘોડું ને બાપુનું ખેતર

પ્રસ્તુત લેખ ગુજરાતમાં યોજાયેલી ગત વિધાનસભા ચૂંટણી પહેલાં વડોદરાથી પ્રગટ થતાં એક મેગેજીન 'પાંચમી દિશા' માટે મેં લખેલો. ગુજરાતનાં રાજકારણમાં પટેલો અને તેમનાં અમુક નેતાઓએ તે વખતે અને અત્યારે લીધેલાં અમુક ઐતિહાસિક  મૂર્ખામીભર્યા  નિર્ણયો સંદર્ભે મને આ લેખ આજે  અહિયાં મારા બ્લોગમાં રજુ કરવાનું મન થયું .

નવ-દસ વર્ષ પહેલાં સંઘમાં ઉપર સુધી પહોંચ ધરાવતાં મૂળ સૌરાષ્ટ્રનાં એક હીરા-ઉદ્યોગપતિ પોતાનાં કોઈ કામસર ગાંધીનગર આવેલાં, તો એમને થયું કે અહિયાં સુધી આવ્યો છું તો સાથે સાથે આપણાં મુખ્યમંત્રીજીને પણ મળતો જાઉં; એટલે આવ્યા મુખ્યમંત્રી કાર્યાલયે અને ત્યાં સાહેબની તરત જ મુલાકાત પણ મળી ગઈ. થોડીક ઔપચારિક વાતો પછી આ કાઠીયાવાડી ઉદ્યોગપતિએ પોતાની 'પટેલ-સહજ' નબળાઈનાં કારણે સાહેબને પોતાનાં આગામી મંત્રીમંડળ વિસ્તરણ વખતે થોડું 'પટેલો' અંગે ખાસ વિચારવા વિનંતી કરી દીધી અને જવાબમાં લાંબા અકળાવનારા મૌન પછી મુખ્યમંત્રીશ્રી એટલું જ બોલ્યાં કે કાશ મારો જન્મ તમારાં પટેલોનાં ઘરે જ થયો હોત તો તમારે આવી અન્યાયની લાગણીઓથી પીડાવું જ ન પડેત.

પાંચમી સદીમાં સપ્તસિંધુનાં પ્રદેશમાંથી એક કુર્મીક્ષત્રીય જાતિનાં લોકો રખડતાં-ભમતાં કૃષિ-પશુપાલનને લાયક ભૂમિ અને વેપાર-વણજની તકો ગોતવા જ્યારથી ગુજરાતમાં આવ્યા ત્યારથી શાસકો સાથેનો તેમનો 'રેપો' અદ્ભુત કહી શકાય તેવો જ રહ્યો છે. હાલનાંપંજાબ અને ત્યારનાં સપ્તસિંધુનાં પ્રદેશથી લઈને ગુજરાત સુધીની તેમની આ ભ્રમણ-યાત્રામાં 'કુર્મી' શબ્દ અપભ્રંશ થઈને 'કણબી' બન્યો અને આ જ શબ્દથી આ કુર્મીક્ષત્રીય જાતિ અહિયાં ઓળખાવા લાગી. આશરે ત્રણસો વર્ષ પહેલાં ચરોતરમાં આવેલાં પીપળાવ ગામનાં વીર વસનદાસ નામનાં એક દુરંદેશી કણબી આગેવાને તત્કાલીન શાસક ઔરંગઝેબનાં એક પુત્ર બહાદુરશાહને મોટા સામાજિક મેળાવડામાં આમંત્રિત કરીને તમામ કણબીઓ માટે 'પાટીદાર' શબ્દ સરકારી ચોપડે દાખલ કરાવ્યો અને આ રીતે છેક પંજાબથી સ્થળાંતરિત થયેલી આ કુર્મીક્ષત્રીય જાતિને એક મોભાદાર ઓળખ પ્રાપ્ત થઈ. આ ચરોતરનાં વીર વસનદાસે ઘણાંબધાં કણબીઓને પોતાની સલાહ અને વગથી રજવાડાઓની જમીનો એટલે કે પટનાં કર ઉઘરાવવાનાં ઠેકાઓ અપાવેલા એટલે પટનાં કર ઉઘરાવનાર માટેનાં તત્કાલીન પ્રચલિત સંસ્કૃત શબ્દ 'પટલીક' ઉપરથી અમુક પાટીદારો 'પટેલ' તરીકે ઓળખાવા લાગ્યાં. આ પછી  સહુપ્રથમ પાટીદારોએ પટેલ, દેસાઈ અને અમીન જેવી ત્રણ મુખ્ય અટકો અપનાવી. આમ જુઓ તો આ પટેલ અટક વાણીયા, બ્રાહ્મણ અને મુસ્લિમોમાં પણ જોવા તો મળે છે પરંતુ પાટીદારોમાં આ અટક સર્વાધિક વપરાશમાં હોવાથી તેઓ અત્યારે તો આ અટકનાં પર્યાય જ બની ગયા છે, એટલે જ તો આપણા દેશ અને દુનિયામાં 'પટેલ એટલે પાટીદાર અને પાટીદાર એટલે પટેલ' એવી એક સર્વસામાન્ય માન્યતા પ્રચલિત છે. ત્રણસો વર્ષ પૂર્વનાં એ કાળમાં તત્કાલીન શાસકો સાથેનાં બહેતરીન તાલમેલ અને તે વખતનાં રાજકીય દબદબાને કારણે ત્યારે ચરોતરમાં તો એક કહેવત પણ પ્રચલિત થયેલી કે 'પટેલ,પાડો ને પારધી...આ ત્રણની અડફેટે ક્યારેય ન ચડવું'.

કાળક્રમે આ પાટીદારો ફૂલીફાલીને કાઠીયાવાડ તરફ ફેલાતાં ગયા અને દેશી રજવાડાઓની જમીનો ખેડવાં લાગ્યાં ત્યારે ચરોતરનાં તેઓનાં મૂળ ગામોનાં નામ પરથી બીજી સેંકડો અટકો તેમને મળતી ગઈ જે દુનિયા આખીમાં કોઈ એક જ જ્ઞાતિનાં અટક-વૈવિધ્યમાં અનોખો કીર્તિમાન છે. ગમે તેવાં કપરા સંજોગોને વિકાસની અણમોલ તકમાં ફેરવવાનાં આનુવંશિક સ્વભાવનાં કારણે દુનિયા આખીમાં ફેલાવાની સાથે સાથે સમૃદ્ધ પણ બનતાં ગયા. આજે પટેલો વિષે એવું કહેવાય છે કે તેઓ સંખ્યાની દ્રષ્ટીએ દુનિયામાં અગિયારમાં, બ્રિટનમાં વીસમાં, ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમે આવે છે. કુલ વ્યવસાયનો દેશમાં પંદર ટકા અને ગુજરાતમાં સિત્તેર ટકા હિસ્સો એકલાં આ પટેલો પાસે છે. સમૃદ્ધિની દ્રષ્ટિએ જોવા જાઓ તો પટેલોનો દુનિયમાં છઠ્ઠો ક્રમ આવે. અમેરિકામાં હોટેલ-મોટેલ વ્યવસાયમાં પટેલોનો હિસ્સો ચાલીસ ટકા જેટલો હોવાં છતાં ત્યાંનાં રાજકીય ક્ષેત્રમાં પટેલોની હિસ્સેદારી અન્ય ભારતીય સમુદાયોની સરખામણીએ નગણ્ય કહી શકાય તેવી જ છે. દુનિયા આખીનું ધ્યાન ખેંચે તેવી વેપાર-વણજનાં ક્ષેત્રે અદ્ભુત સફળતા મેળવી હોવાં છતાં રાજકારણનાં ક્ષેત્રે નબળો દેખાવ એ પણ એક કોયડો જ લાગે કે પછી તેમને વારસમાં મળેલી કૃષિ-વેપારની 'કોર કોમ્પીટન્સ' આ માટે જવાબદાર હોય કદાચ! ઉત્ક્રાંતિની આ કઠોર અસ્તિત્વ યાત્રામાં આટલાં ઊંડા-મજબૂત મૂળ ધરાવતી આ જાતિ હમણાં હમણાં ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિને અનુલક્ષીને ચર્ચાય છે તે પ્રમાણે કોઈ શાસક કે વિપરીત રાજકીય માહોલથી શું ક્યારેય ભયભીત, ભ્રમિત કે પછી વિચલિત થાય ખરી? ક્યારેય નહીં; પણ આયોજનપૂર્વકની લાંબી ઉપેક્ષાથી તે ભડકીને વિમુખ જરૂર બનતી જાય.

આઝાદી પછીનાં ગુજરાતનાં કોંગ્રેસ શાસનમાં 'ખામ'થિયરીનાં કહેવાતાં સફળ પણ સામાજિક રીતે અસંતુલન ઊભું કરતાં એક સંકુચિત રાજકીય પ્રયોગનાં કારણે પટેલો ધીરે ધીરે કોંગ્રેસથી વિમુખ થયાં અને તેની પ્રતિક્રિયામાં જ ભારતીય જનતા પક્ષનાં ઉદય સાથે સાથે તેનાં મુખ્ય સમર્થકો બન્યાં. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનાં ઉદય અને પોષણમાં મૂળ સૌરાષ્ટ્રનાં સુરતમાં હીરાઉદ્યોગમાં સમૃદ્ધ બનેલા ઉદ્યોગપતિઓનું  નોંધપાત્ર યોગદાન રહ્યું છે. આ હકીકતનાં કારણે જ પોતે કેશુભાઈ પટેલ કરતાં પક્ષમાં સિનીયર હોવાં છતાં ગુજરાતની પ્રથમ ભાજપ સરકારમાં કેશુભાઈ જ મુખ્યમંત્રી બને તેવો શંકરસિંહ વાઘેલાએ જ આગ્રહ રાખેલો. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાનાં ક્રાંતિકારી સૂત્ર સાથે ગુજરાતમાં અસ્તિત્વમાં આવેલી પહેલી ભાજપ સરકારની રચનાની શરૂઆતથી જ પશ્ચિમી કૂટનીતિજ્ઞ મેકિયાવેલીએ બતાવેલા તેનાં પ્રસિદ્ધ શસ્ત્ર 'ભ્રમ'નો ઉપયોગ એક લાંબાગાળાની રણનીતિનાં ભાગરૂપે ભાજપની અંદર જ શરુ થઈ ગયેલો. ગુજરાત ભાજપનાં પાયાનાં પથ્થરો આ ભ્રમજાળનો તરત જ આબાદ શિકાર બની ગયા! ભાજપની આંતરિક રાજનીતિની શતરંજનો 'સ્ટ્રોક' ખેલવામાં કેશુભાઈ પટેલ અને તેનાં તત્કાલીન જોડીદાર શંકરસિંહ વાઘેલાએ સૌરાષ્ટ્રની એક બહુ પ્રચલિત કહેવત "પટેલનું ઘોડું( જે પાદર સુધી જ દોડે અને પછી ગભરાઈને પાછું વળી જાય!) ને બાપુનું ખેતર (જેમાં વાવેલાં પાક કરતાં નિંદામણનું ઘાસ વધું મોટું દેખાતું હોય!)" ને હૂબહૂ સાચી કરી દેખાડી. શંકરસિંહ વાઘેલાએ બળવો કરવાની કરેલી ઐતિહાસિક ભૂલ અને કેશુભાઈ પટેલે પોતાનાં શરૂઆતનાં શાસનમાં જળસંચય, સૌરાષ્ટ્રને પીવાનાં પાણીની સમસ્યા તેમજ રાજ્યની કાયદો અને વ્યવસ્થાનાં ક્ષેત્રે કરેલી ઉત્તમ કામગીરી છતાં પણ 'ખામ'ની પ્રતિક્રિયા રૂપે પોતાની જાતિનાં લોકો(જે પોતપોતાનાં વ્યવસાયિક ક્ષેત્રે તો બાહોશ હતાં, ભાજપ સરકાર લાવવામાં તેમનું મહત્તમ યોગદાન પણ હતું પણ રાજકીય ક્ષેત્રે તો તેઓ બિલકુલ અપરિપક્વ જ હતાં)નાં વધું પડતાં મોહ અને કવચમાં રહેવાની કરેલી અક્ષમ્ય ભૂલનાં કારણે રાજ્યનાં બીજા જાતિસમૂહો અને વર્ગમાં પોતાની લોકપ્રિયતા ધીરે ધીરે ગુમાવતા ગયા. પોતાની સત્તાનાં સુવર્ણકાળમાં પણ પોતાનાં એક 'જુનિયર'ની સત્તા માટેની 'બર્નિંગ ડીઝાયર'ને નહીં પારખી શકેલા આ જ કેશુભાઈ પટેલ સત્તાવિહોણી લાંબી સુષુપ્તાવાસ્થામાંથી એકાએક જાગીને 'ભય છે... ભય છે' નાં હાંકલાઓ પાડવા લાગે તો શું તેમનાં આવા ભયકારોથી હવે પટેલો ભ્રમિત થાય ખરા?

શરૂઆતમાં લખેલાં પ્રસંગ પ્રમાણે મોદી શાસનથી પટેલો ખરેખર જો અન્યાયની લાગણીથી પીડાતા હોય તો તેમને કાંટાની ટક્કર આપી શકે તેવાં આક્રમક નેતાની ખોજ કરવાની પહેલી જરૂર છે કે જે સત્તા મળતાં જ હાલારી(અમરેલી જીલ્લાનાં) અને ગોલવાડીયા(ભાવનગર જીલ્લાનાં) જેવી ક્ષુલ્લક ઓળખોમાં પોતાનાં લોકોને અટવાડીને સ્વાર્થી વિભાજનકર્તા વહેંતિયા આગેવાનોનાં ઘેરામાં રહેવાનું પસંદ કરવાને બદલે ત્રણસો વર્ષ પહેલાં ચરોતરનાં પીપળાવ ગામનાં વીર વસનદાસ જેવો દૂરંદેશી હોય જે પોતાનાં સમાજને સંખ્યા,શક્તિ અને એકતાને ઊર્જા અપાવતી 'પાટીદાર'ની જોમદાર ઓળખ આપાવે.

સત્તા રૂપી સુંદરીને શાણાઓની નહીં; સાહસિકોની પ્રેયસી થવું વધું પસંદ હોય છે... -મેકિયાવેલી


1 comment: