Tuesday, January 28, 2014

'હા... ક થૂ...' આપણી રાષ્ટ્રીય કૂટેવ

આયુર્વેદના બે મહાન આચાર્યો ચરક-સુશ્રુત પૈકીના એક અને વાઢકાપ વિદ્યાના આદ્યપિતા કહી શકાય એવા સુશ્રુત ઋષિએ રચેલો ગ્રંથ 'સુશ્રુત આયુર્વેદ' ઘણાં વર્ષો પહેલાં મેં વાંચેલો. આયુર્વેદના આ અજોડ ગ્રંથના એક પ્રકરણમાં નાગરવેલના પાનને સુગંધિત અને પાચક દ્રવ્યો સાથે મેળવીને ચાવવાથી આપણા પાચનતંત્રની રુચિપૂર્ણ ઉત્તેજના સાથે મસ્ત મજાની મુખશુદ્ધી થાય તેવી એક શ્રેષ્ઠ રીત બતાવેલી છે. મુખશુદ્ધીના આ વૈજ્ઞાનિક ઉપાયમાં પહેલી બે પિચકારી ઝેરી હોવાથી સુશ્રુતે તેને બહાર થૂંકવાની ભલામણ કરેલી છે.
           
ગામડું, કસબો, નગર, મહાનગર કે પછી છેવાડાનું કોઈપણ પર્યટન સ્થળ હોય ત્યાં તમને કોઈપણ પ્રાંત, સંસ્કૃતિ કે ધર્મના ભેદથી ઉપર ઊઠીને જાહેરમાં થૂંકવાની રાષ્ટ્રીય કૂટેવ અવશ્ય જોવા મળશે. માની લઈએ કે સુશ્રુતે જે કાળમાં પાન ચાવીને મુખશુદ્ધી કરતાં કરતાં પહેલી બે પિચકારી બહાર થૂંકવાની ભલામણ કરી હશે ત્યારનું વસ્તીભારણ અને ગીચતા હાલના પ્રમાણમાં નહીંવત હશે જેથી તે વખતે લોકોને લાગતી આ 'સુટેવ' જાહેર સફાઈને 'ડિસ્ટર્બ' નહીં કરતી હોય. આયુર્વેદિક વૈજ્ઞાનિક મહત્વ ધરાવતા આવા પાનબીડાંઓનું સ્થાન કાળક્રમે તંબાકુ, પાન-મસાલા  અને ગુટકાએ લઈ લીધું. સુશ્રુતે બતાવેલી માત્ર ભોજન પછી પાન ચાવીને મુખશુદ્ધી કરવાની ભલામણને ભૂલીને દિવસમાં દસથી પંદર પાન-મસાલા કે ગુટકા ચાવવાની કૂટેવના માર્ગે દેશના યુવાધને બે-લગામ વિકાસ સાધ્યો અને આવી જ રીતે આયુર્વેદમાં સુશ્રુતે બતાવેલો એક સદાચાર આપણા જાહેર આરોગ્ય તેમજ સફાઈનો કટ્ટર શત્રુ જેવો રાષ્ટ્રીય દુરાચાર બની ગયો.
             
દુનિયામાં આપણા દેશની આગવી ઓળખ બની ગયેલા આ ઉપદ્રવના મૂળમાં પાનમસાલા તેમજ ગુટકાનું મહત્તમ યોગદાન હશે. સાથે સાથે જાહેર સ્વચ્છતા જાળવણીના મૂલ્યો નિર્મિત કરવાની આપણી સામાજિક ઉદાસીનતા પણ એટલી જ જવાબદાર કહી શકાય. જાહેર સ્થળોએ બેફામ થૂંકવાની પ્રવૃત્તિમાં આપણે કેટલા બાહોશ અને નિર્લજ્જ છીએ તેનું પ્રતિબિંબ આપણી ટ્રેનો, રાજ્ય પરિવહનની બસો, શોપિંગ મોલ્સ, સરકારી દફતરોના દાદર અને તેના શૌચાલયોમાં સ્પષ્ટ વર્તાય છે. ભારતની સડકો પર બાઇક ચલાવવા માટે જરૂરી હેલ્મેટ અકસ્માત સમયે તમને ગંભીર ઈજાઓથી બચાવતા પહેલાં તમારી આગળ ચાલતા બાઇક સવાર થૂંકેશ્વરોની લાલચોળ પિચકારીથી તમારા ચહેરાને તો અવશ્ય બચાવે જ છે. ભારતમાં વધી રહેલી જનસંખ્યા અને તેની ગીચતા તેમજ જાહેર સ્વચ્છતા અંગેની લોકજાગૃતિના અભાવે જે ગતિએ ટીબી જેવી બિમારીઓ ફેલાઈ રહી છે તેના કારણમાં આપણી આ જાહેરમાં બેફામ થૂંકવાની રાજટેવનનું જબરજસ્ત યોગદાન છે. ખૂલ્લામાં કચરાના વિશાળ ઢગલાઓ અને ઉકરડાઓ પછી બિમારીજન્ય જીવાણુઓનું બેરોકટોક 'ટ્રાન્સપોર્ટેશન' કરતી માખીઓને પનપવાનો મોટામાં મોટા કોઈ સ્ત્રોત હોય તો તે આપણે લોકોએ જાહેરમાં થૂંકેલા ટનબંધ અવશેષો છે. દુનિયામાં દક્ષિણ એશિયાના રહેવાસીઓ અને ખાસ કરીને ભારતીયો પાન, સોપારી, ચૂનો, અને તંબાકુને વિવિધ રીતે મેળવીને પ્રયોગમાં લેવાના શોખીન ગણાય છે. એક અંદાજ પ્રમાણે આવા શોખીન ભારતીયો પૈકી દસ ટકા લોકો ગુટકાના રૂપમાં, તેત્રીસ ટકા લોકો પાન સાથે તો છપ્પન ટકા લોકો ખાલી ચૂનાની સાથે તંબાકુનો પ્રયોગ કરે છે અને આ તમામ મળીને વર્ષે દહાડે તેમનું અમૂલ્ય પાચક દ્રવ્ય 'ટાઇલીન' ધરાવતી લાળનો દસ લાખ ટન જેટલો જથ્થો પિચકારી રૂપે જાહેર આરોગ્ય તેમજ સ્વચ્છતાને ખરાબ કરવા થૂંકી નાખે છે.
               
જંગલી પ્રાણીઓને પોતાની 'ટેરિટરી'ને સુનિશ્ચિત કરવા પત્થરો અને વૃક્ષોને પોતાના બિનજરૂરી ઉત્સર્જનોથી 'માર્ક' કરવાની જરૂર પડે એ તો સમજાય પણ માણસને એવી કોઈ મજબૂરી ન હોવા છતા પણ નાનું, મોટું, સરકારી કે બિનસરકારી સ્થાપત્ય જોયું નથી કે પિચકારી મારવાનું શરૂ! સુશ્રુતને આવી આપણી ખબર હોત તો પાનની પહેલી બે પિચકારી બહાર થૂંકવાની ભલામણ સાથે સાથે તેને ખાસ કચરાપેટીમાં જ થૂંકવાની વિશેષ ભલામણ ન લખતા જાત!
               
દેશમાં આજકાલ આપણું રાષ્ટ્રીય પીણું શું હોવું જોઈએ તેની જોરશોરથી ચર્ચા થાય છે; આપણી રાષ્ટ્રીય કૂટેવ શું  છે તેની ચર્ચા કરવી અત્યારે વધું જરૂરી છે એવુ તમને નથી લાગતું?... 

3 comments:

  1. મુખ શુદ્ધિ માટે ની ટેવ કુટેવ બની ગઈ ........પણ હવે ના યુવાનો આ કુટેવ થી દૂર છે......નવી કુટેવ આવી છે જે એક હાથમાં "cigarette" અને એક હાથ માં થડું પીણું પિતા જાય .......

    ReplyDelete
  2. અખાજી નું અખિલ દર્શન ...




    ReplyDelete