Monday, March 17, 2014

હરીફોનો 'ખો' કાઢવાની ખો-ખો...

નરેન્દ્ર મોદીને પક્ષનાં વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીને હટાવીને ઉત્તર પ્રદેશનાં બનારસથી ચૂંટણી લડાવવાનાં મુદ્દે રાજકીય વિવેચકો તેમજ પ્રતિસ્પર્ધીઓએ તારવેલાં અલગ અલગ મતમતાંતરો આપણને સાંભળવા મળે છે. અખબારો, ટેલિવિઝન ન્યૂઝ ચેનલ્સ અને સોશ્યલ મિડિયામાં થોડાક મનોરંજન ભાવે લિપ્ત થઈ ગયા તો સમજો આપણને એવો જ અનુભવ થવા લાગે કે લોકો અત્યારે જેની 'લહેર' ચાલી રહી હોવાની એકમાત્ર ચર્ચા કરી રહ્યા છીએ તે તો ખરેખર એક વાવાઝોડું છે! વાસ્તવમાં ખરેખર આવું જો વાવાઝોડું જ હોય તો કોઈને પણ એક સવાલ જરૂર થાય કે તો આ ભારતીય જનતા પક્ષનાં લોકો તેમનાં પ્રાઇમ મિનિસ્ટર મટીરિયલને લડાવવા માટે શા માટે બેવડી સલામતી બેઠક વ્યવસ્થા ગોઠવવાની આટલી બધી લમણાઝીક કરે?

ઘણાં રાજકીય વિવેચકો આ વ્યૂહરચના પાછળ બિહાર-ઉત્તર પ્રદેશમાંથી મહત્તમ બેઠકો મેળવવાનો હેતુ માને છે. તો પણ એક પ્રશ્ન તો થાય જ કે પક્ષનાં વરિષ્ઠ નેતાઓને જ હટાવીને શું કામ?  ઉત્તર પ્રદેશમાં બીજી ઘણીબધી લોકસભા બેઠકો એવી છે જ ત્યાંથી જો નરેન્દ્ર મોદી લડે તો પણ આ વ્યૂહરચના પાછળ દેખાડવામાં આવતાં તર્ક પ્રમાણે તેઓ સફળ રહે જ. બીજો પ્રશ્ન એ થાય કે બનારસથી મોદીજીને લડાવવાથી ભારતીય જનતા પક્ષને બિહાર-ઉત્તર પ્રદેશમાં ઘણી-ખરી બેઠકો ઉપર ફાયદો થાય તે માની લઈએ તો પક્ષ પ્રમુખ રાજનાથસિંહ પોતાની પરંપરાગત ગાઝીયાબાદ બેઠક છોડીને પ્રદેશનાં વરિષ્ઠ નેતા લાલજી ટંડન પાસેથી લખનૌ બેઠક ઝૂંટવી લે તો વળી શું કોઈ વધું બેઠકો મળવાનો ફાયદો થઈ જવાનો? દેશમાં ખરેખર મોદી લહેર ચાલી રહી છે તો તેમનાં જ રાષ્ટ્રીય અધ્યક્ષને દિલ્હીનાં પાદરમાં આવેલાં ગાઝીયાબાદને છોડીને શા માટે લખનૌ લાંબું થવું પડે?

અનુભવી અને થોડા જાણકાર રાજકીય મિત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ભારતીય જનતા પક્ષનાં નવા કબજેદારની આ એક ખૂબ જ ગુપ્ત અને ખંધી વ્યૂહરચનાનો એક ભાગ છે જેનાથી તેઓ ચૂંટણી પહેલાં જ પોતાનાં ધારેલાં લક્ષ આડે અવરોધ બનનારા મોટાભાગનાં સંભવિત અવરોધકોને નશ્યત કરશે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, લાલજી ટંડન અને હરિન પાઠક જેવાં ઘણાંબધાં નડેલાં કે પછી ભવિષ્યમાં નડવાની તૈયારી વાળા રાજકીય હરીફોનો કૂટનીતિક ઇલાજ આ ખંધા ખો-ખો દાવથી કરી દેવામાં આવશે એ નિશ્ચિત છે.

હિંદુ દર્શન પ્રમાણે વર્તમાન કાળ અગિયારમાં રુદ્ર 'હર'નો છે, રુદ્ર એ વિનાશનો દેવ છે અને કદાચ એટલે જ નરેન્દ્ર મોદીનાં ચાહકોએ આ 'હર' નામનાં રુદ્રનાં નગર બનારસથી તેમને લડાવવાની સાથે સાથે "હર હર મોદી" નું સૂત્ર અપનાવ્યું હશે?

1 comment: