Friday, March 7, 2014

દક્ષિણનો દાનવ લેપ્ટો

કોઈ ફોટોગ્રાફરે ખેંચેલી તસવીરમાં કે પછી આપણાં ભારતીય ચલણમાં દેખાતાં પિંડી સુધી પાણીથી ભરેલી ક્યારીઓમાં ડાંગરની રોપણી કરતાં ખેડૂતોનું નયનરમ્ય દૃશ્ય મને હંમેશા આકર્ષિત કરે. હજી થોડાંક દિવસો પહેલાં જ સુરતથી નવસારી જતાં માર્ગમાં મને આ નયનરમ્ય દૃશ્ય નજરે પડ્યું એટલે મેં તરત જ કૅમેરામાં તેને કેદ કરી લીધું. સાંજે દિવસભરની ખેંચેલી તસવીરો જ્યારે હું જોવા બેઠો ત્યારે જેવી આ ડાંગર રોપણી કરતાં ખેડૂતોની તસવીર મારી નજર સામે આવી કે તરત જ આ સુંદર લાગતી તસવીરનાં ઊંડાણમાં છૂપાયેલી નહીં દેખાતી કેટલીય 'ડાર્ક ફેક્ટ્સ' મારા મનમાં ઉજાગર થઈ ગઈ.

આ તસવીરને જોઈને મને સુરતમાં આવેલાં ૨૦૦૬નાં વિનાશક પૂર પછીની અમુક ઘટનાઓ યાદ આવી ગઈ. પૂરનાં પાણી ઓસર્યા પછી આખાયે શહેરમાં માટી અને કાદવનાં થર જામી ગયેલાં અને તેમાં અસંખ્ય જળચર-સ્થળચર જીવોનાં મૃત અવશેષો સડવાનાં કારણે આખું વાતાવરણ દુર્ગંધમય બની ગયેલું. આવા માહોલથી છૂટકારો પામવાં અમુક લોકો કોઈપણ જાતની આરોગ્ય વિષયક કાળજી રાખ્યા વગર જ પોતાનાં ઘરની આસપાસ સફાઈનાં કામમાં જોતરાઈ ગયાં. આવા સમયે લોકોનાં મનમાં સુરતમાં પાછલાં પૂર વખતે દેખાયેલાં પ્લેગનાં ફરી વખતનાં પ્રકોપની આશંકાઓ બળવત્તર બનેલી અને કમનસીબે પ્લેગનાં જેવાં જ બાહ્ય લક્ષણો ધરાવતાં લેપ્ટોસ્પાયરોસિસનાં ચેપથી સુરત શહેરમાં અમુક વ્યક્તિઓનાં મૃત્યુ થયાં. આ લેપ્ટોસ્પાયરોસિસ નામની બિમારીથી દક્ષિણ ગુજરાત અને સુરત જિલ્લો ઘણાં વર્ષોથી બહુ ખરાબ રીતે પ્રભાવિત છે પણ સુરત શહેરનાં લોકોને તો બહુ પરિચય નહોતો એટલે સ્થાનિક અખબારોએ સુરત શહેરમાં દિનપ્રતિદિન મૃત્યુઆંક વધારતી આ બિમારીને સંભવિત રીતે પ્લેગ છે તેવાં અહેવાલો આપીને સરકાર તેમજ લોકોની ઊંઘને ઉડાડી મૂકેલી. આ અખબારી અફવાઓથી શરૂઆતમાં ભલે વધારે પડતો ગભરાટ ફેલાયો પણ તેનો એક જબરો ફાયદો તો થયો જ. રાજ્યનાં તત્કાલીન આરોગ્ય સચિવે સુરતમાં લાગલગાટ પંદર દિવસ સુધી મુકામ કરીને સમાચાર માધ્યમો અને શહેરની આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા તમામ લોકોને સુરતમાં જે બિમારીનાં કારણે મરી રહ્યાં તે પ્લેગ નહીં પણ હકીકતે પૂરનાં ગંદા કીચડવાળા પાણીમાં ખુલ્લાં પગે રખડતાં 'લેપ્ટોસ્પાયરા' નામનાં બેક્ટેરિયાનો ચેપ લાગવાથી થયેલી જીવલેણ બિમારી 'લેપ્ટોસ્પાયરોસિસ' વિશે વિગતવાર સમજણ અને જાણકારી આપવાની સાથે જરૂરી ત્વરિત પગલાંઓ લીધાં એટલે જ આ બિમારીને કારણે થનારો સંભવિત મૃત્યુઆંક ઘટાડી શકાયો.

લેપ્ટોસ્પાયરા બેક્ટેરિયાનો ચેપ ધરાવતાં ઉંદરો અને બીજા પાલતું પશુઓનાં મળમૂત્ર વાળી પાણી ભરેલી કીચડ વાળી માટીનાં સંપર્કમાં જ્યારે માણસોનાં પગમાં પડેલાં વણરૂઝાયેલાં ચીરાઓ તેમજ આંખ કે મોં ની 'મ્યુકસ મેમ્બ્રેન' આવે છે ત્યારે તેઓને આ બિમારી લાગવાની સંભાવના ખૂબ વધી જાય છે. આ બિમારીને વૈજ્ઞાનિકો સૌ-પ્રથમ ૧૯૯૪ માં લેપ્ટોસ્પાયરોસિસનાં નામથી ઓળખવા લાગ્યા તેનાં પહેલાં આ બિમારીથી સૌથી વધું પ્રભાવિત ક્ષેત્ર અંદામાન ટાપુઓનાં કારણે તેને AHF (Andaman Hemorrhagic Fever) તરીકે ઓળખતાં. આજે પણ અંદામાન વિસ્તારમાં લોકોને બિમારી લાગવાનું પ્રમાણ બાકીનાં બધાં રાજ્યો કરતાં ખૂબ જ ઊંચું છે. ચીકણી માટી, વધુંપડતો વરસાદ, ડાંગર અને શેરડી જેવાં વધું પાણીની જરૂરિયાત વાળા પાકોનું વાવેતર જ્યાં અધિક થતું હોય ત્યાં આ રોગનું કારણ જેવાં લેપ્ટોસ્પાયરા બેક્ટેરિયાનું સંવર્ધન તેમજ તેને ફેલાવો વધારનાર ઊંદર જેવા વાહકોને માટે પણ આ માહોલ ખૂબ જ અનુકૂળ હોવાથી આવાં વિસ્તારો આ બિમારી ખૂબ જ વકરતી હોય છે. 

દેશમાં  કેરળ, તમિલનાડુ, અંદામાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડીશા, આંધ્ર અને ગુજરાતનાં ઘણાંબધાં ક્ષેત્રો આ બિમારીથી વ્યાપક રીતે પ્રભાવિત થતાં રહે છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાતનાં આશરે ૫૭૦ જેટલાં ગામો આ ભયાનક લેપ્ટોની લપેટમાં છે. દક્ષિણ ગુજરાતનાં આ ગામોમાં 'લેપ્ટોસ્પાયરા'ની ખતરનાક ચેપી માટી ધરાવતાં ડાંગર અને શેરડીનાં ખેતરોમાં કામ કરતાં ગરીબ ખેતમજૂરોનાં લાચારીભર્યા અજ્ઞાન અને ખેતરમાલિકોની ગુનાહિત બેદરકારીનાં પરિણામે પાછલાં પંદર વર્ષ દરમિયાન ૬૨૫૩ જેટલાં લોકો આ જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસનો ભોગ બન્યાં અને તેમાંથી ૧૦૧૯ કમનસીબોનાં મૃત્યું થયાં. દક્ષિણ ગુજરાતનાં આ ૫૭૦ ગામોની વસ્તી પ્રમાણે વાર્ષિક સરેરાશ ૪૧૬ વ્યક્તિઓ ભોગ બને અને તેમાંથી ૬૮ લોકોનાં મોત થાય તે આંકડો ખરેખર ઘણો જ ઊંચો અને કમનસીબ કહેવાય. મેડીકલ સાયન્સનાં ક્ષેત્રે થયેલા સંશોધનો અને વધેલી આરોગ્ય સુવિધાઓને કારણે છેલ્લા પંદર વર્ષનાં આંકડાઓ જોઈએ તો જોઈ શકાય છે કે આ બિમારીનો ભોગ બન્યાં પછીનો મૃત્યુદરને તો આપણે જરૂર ઘટાડી શક્યાં પણ આ ભયાનક બિમારીનો ભોગ બનનાર(ખેતમજૂરો જ)ની સંખ્યા ખૂબ ઝડપથી વધી જ છે.

ગુજરાતની ખેતી અને ખેતીનાં વિકાસદરની દેશ આખો ચર્ચા કરી રહ્યો છે ત્યારે એવું થાય કે ખેતી અને ખેડૂત જો ખરેખર અહીંયાં સમૃદ્ધ બન્યો હોય તો પોતાનાં કીચડ વાળા ખેતરોમાં ડાંગરની રોપણી કરતાં મજૂરોને તેનાં ફાટેલાં પગને લેપ્ટોનાં જીવલેણ ચેપથી બચાવવાં માટે ખાસ બુટ કેમ નહીં પહેરાવી શકતો હોય? કૃષિક્ષેત્રનો આ કહેવાતો વધેલો વિકાસદર તે ક્ષેત્રનાં મજૂરોની ગરીબી અને અજ્ઞાનને પ્રભાવિત ન કરી શકે તો તેવાં આ વિકાસદરને આપણે શું ધોઈ પીવાનો? શું આ ભયાનક બિમારીને નાથવા જે તે વિસ્તારમાં માત્ર આરોગ્ય વિષયક સુવિધાઓ કરી આપવી તે જ એક માત્ર ઉપાય હોઈ શકે? શું ટેકનોલોજીનાં આધુનિક યુગમાં મજૂરોની જીંદગીને બચાવવા માટે સરકાર ખેડૂતોને કોઈ ફરજ ન પાડી શકે? હવે તો ડાંગર રોપણી માટે સ્વયંસંચાલિત મશીનો પણ ઉપલબ્ધ છે તો શું સરકાર તેનાં માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરીને ડાંગર રોપણીને તે મશીનો દ્વારા જ કરાવવાનું ફરજીયાત ન કરી શકે?

સુરતમાં આવેલાં પૂર પછી નોંધાયેલા દસ-પંદર જેટલાં લેપ્ટોનાં શહેરી દર્દીઓ માટે ગાંધીનગરથી સુરતમાં જો આપણા આરોગ્ય સચિવને પંદર દિવસ સુધી મુકામ કરવો પડતો હોય તો દક્ષિણ ગુજરાતનાં આ લેપ્ટો-પ્રભાવિત ગામડાઓમાં આ ભયાનક લેપ્ટોથી વાર્ષિક ૪૧૬ જેટલાં લોકોનાં ભોગ બનવાની અને ૬૮ જેટલાં લોકોનાં મોતની અધધ સંખ્યા માટે પણ આપણું આરોગ્યતંત્ર કે ખેતીવાડી ખાતું હંમેશા સુસ્ત નિદ્રામાં કેમ પોઢતું રહેતું હશે? સરકાર અને ખેડૂતોની સુસ્તીનું એક કારણ આ લેપ્ટો નામનાં દાનવનું કાર્યક્ષેત્ર અત્યારે એવું અંતરિયાળ ગ્રામીણ ક્ષેત્ર છે જ્યાં તેનો ભોગ બનનાર ગરીબોનો અવાજ નથી તો જોરથી ઊઠતો અને જે થોડોઘણો ઊઠે છે તે જ્યાં પહોંચવો પડે ત્યાં ક્યારેય પહોંચી જ શકતો નથી તે પણ હોય.

દાનત હોય તો દાનવ પણ હારે; અત્યારે મુખ્ય પડકાર દાનવ કરતાં આ દાનતને કઈ રીતે જગાડવી તેનો છે.





3 comments:

  1. સાવચેતી ના પગલા લેવાય એ સિવાય કોઈ ઉપાય નથી એટલો ખ્યાલ રાખવા પ્રયાસ કરવા માટે જે તે સંભવિત પ્રભાવિત ક્ષેત્રો મા જાગ્રુત્તિ માટે યુવાનોએ જ પ્રયાસ કરવો રહ્યો બધી જગ્યાએ સરકાર પર આધારિત ન રહેતા જે તે ક્ષેત્રો ના યુવાનો ને પ્રોત્સાહિત કરવા જરુરી છે
    સરસ ટૂંકો સચોટ અને માહિતી પ્રદલેખ

    ReplyDelete
  2. આભાર મહેશભાઈ ત્રિવેદી..

    ReplyDelete
  3. Is there any dedicated NGO to prevent this disase?

    ReplyDelete